રાયખડનો ‘‘દિવાન્સ બંગલો’’ એ અહમદાબાદનું પ્રથમ શ્રેણીનું સર્વશ્રેષ્ઠ હેરિટેજ સ્થાપત્ય

સ્થાપત્યની દૃષ્ટિએ મુગલ, બ્રિટિશ અને ગુજરાતી સંસ્કૃતિનું મિશ્રણ એવો
‘દિવાન્સ બંગલો’ હાલ હેરિટેજ હોટલ છે જેને ‘ટાઈમ્સ ફૂડ નાઈટ લાઈફ’ એવોર્ડ અર્પણ કરાયો : ‘‘દિવાન્સ બંગલો’ની સરદાર પટેલ, મોરારજી દેસાઈ સહિત અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફિલ્મ કલાકારો સહિતના મહાનુભાવો મુલાકાત લઈ ચૂક્યા છે
‘દિવાન્સ બંગલો’ ગઈકાલે અને આજે
દિવાન્સ બંગલોના માલિક અને અહમદાબાદના પ્રથમ ડેપ્યુટી મેયર મુસ્તફા હસન કાદરી (એમ.બી.કાદરી)ની તેમના પુત્રો, મિત્રો અને મહેમાનો સાથેની તસવીર એમ.બી. કાદરી તસવીરમાં બેઠેલાઓમાં ડાબેથી ત્રીજા કાળી શેરવાની અને પાઘડીવાળા છે તે છે.
અહમદઆબાદ શહેરના હાર્દ સમાન કોટ વિસ્તાર રાયખડમાં આવેલ ‘‘દિવાન્સ બંગલો’’ એક ઉચ્ચકોટીનું હેરિટેજ સ્થાપત્ય હોવાથી ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ સ્થાપત્યને પ્રથમ કક્ષાની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. મુગલાઈ, બ્રિટિશ અને ગુજરાતી એમ ત્રણ સંસ્કૃતિનું મિશ્રણ એવા આ સ્થાપત્યની જાળવણી પણ સુંદર રીતે કરવામાં આવી છે તે આ દિવાન્સ બંગલોના માલિક અને વિખ્યાત આર્કિટેકટ આઈ.એમ.કાદરીને આભારી છે.
‘દિવાન્સ બંગલો’ અને હાલ હેરિટેજ હોટલમાં ફેરવી દેવાયેલ આ ઐતિહાસિક સ્થાપત્ય અંગે વાતચીત કરતા હોટેલના માલિક ફરઝાના કાદરીએ જણાવ્યું છે કે ૧પ૦ વર્ષ જૂનો આ દિવાન્સ બંગલો રાધનપુરના દિવાન બાવામિયાં કાદરીએ બનાવ્યો હતો. ત્યારબાદ તેમના પુત્ર અને અહમદાબાદના પ્રથમ ડેપ્યુટી મેયર મુસ્તુફા હસન કાદરી (એમ.બી.કાદરી) કે (જેમના નામે રાયખડમાં માર્ગનું નામ આપવામાં આવ્યું છે તે) અને તેમના પુત્રો આઈ.એમ. કાદરી, સિરાજુદ્દીન કાદરી, ઝહીરૂદ્દીન કાદરી, ઝીયાઉદ્દીન કાદરી, મુનિરૂદ્દીન કાદરી અને સલાહુદ્દીન કાદરી આ બંગલોઝમાં રહેતા હતા પરંતુ સમય જતા ત્રણ ભાઈઓ અલ્લાહને પ્યારા થઈ ગયા જ્યારે અન્યો ધંધાર્થે અન્યત્ર સ્થાઈ થઈ ગયા હતા. ત્યારબાદ આ ભાઈઓએ કાદરી ફાઉન્ડેશન ટ્રસ્ટ બનાવી આ દિવાન્સ બંગલોને ટ્રસ્ટને સોંપી દીધો હતો. જેને છેલ્લા પાંચેક વર્ષથી હેરિટેજ હોટલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. આઈ.એમ. કાદરી પોતે નિષ્ણાત આર્કિટેકટ હોવાથી આ બંગલાને હેરિટેજ દેખાવ જાળવી રાખી તેમણે રિસ્ટોર કરાવ્યો છે.
આ દિવાન્સ બંગ્લોઝના અન્ય માલિક મુનિરૂદ્દીન કાદરીએ મુનિર મેમરીસ નામે ભવ્ય ભૂતકાળની યાદોના સંભારણ રૂપે મૂકી છે જેમાં તેઓ જણાવે છે કે ૧૯૩૩માં જ્યારે હું છ વર્ષનો હતો ત્યારે મારા પિતાએ મરૂન કલરની ફિઆટ કાર ખરીદી હતી. જેના ડ્રાઈવર ઉસ્માન હતા. તે અમારી પ્રથમ કાર હતી. મે અમારા પાડોશીઓ સાથે આ કારમાં બેસી સરખેજ રોઝાની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ઐતિહાસિક ક્ષણોને યાદ કરતા મુનિરૂદ્દીન કાદરી ઉમેરે છે કે કાંકરિયા ઝૂના ઝુ કીપર રૂબિન ડેવિડે અમને બાળ ચિત્તો આપ્યો હતો. હું અને મારા પાડોશી મિત્રો આ બાળચિત્તા સાથે ખૂબ રમતા મારો ભાઈ ઈફતેખાર અને મારા પિતરાઈ હાફિઝ તેને કસાઈને ત્યાંથી માંસ લાવી ખવડાવતા હતા જયારે તે બાળચિત્તો મોટો થયો ત્યારે અમે તેને વડોદરા ઝૂને ભેટમાં આપી દીધો હતો. આમ આ દિવાન્સ બંગલો સાથે અનેક નાની મોટી ઘટનાઓના સાક્ષી કાદરી બંધુઓ માટે આ બંગલો ગર્વ લેવા જેવો છે.
આ દિવાન્સ બંગલો એક હવેલી જેવો છે જેમાં પ્રવેશતા જ એક અલગ જ અનુભૂતિ થાય છે. શાંત વાતાવરણમાં લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલા આ દિવાન બંગ્લોઝમાં પક્ષીઓનો કલરવ મનને પ્રફુલ્લિત કરી નાખે છે. આ દિવાન બંગ્લોઝ સામાન્ય નહીં પરંતુ ઐતિહાસિક પણ છે. સરદાર પટેલ, મોરારજી દેસાઈ સહિત અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ, બ્રિટનના રાણી એલિઝાબેથ, ટ્રેજેડી કિંગ દિલીપકુમાર, નવાઝુદ્દીન સિદ્દિકી સહિતના ફિલ્મી કલાકારો, પંડિત શિવકુમાર શર્મા, અહમદ ચુગતાઈ જેવા મહાનુભાવો આ બંગલાની મુલાકાત લઈ ચૂક્યા છે. તાજેતરના વર્ષોમાં શાહરૂખખાનની ‘રઈસ’ ફિલ્મના શૂટિંગ બાદ આ દિવાન્સ બંગલો દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ દિવાન બંગ્લોઝની ૧પ૦ વર્ષ બાદ તેની જાળવણીના હિસાબે આજે પણ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહી છે. આ હેરિટેજ હોટલ એક રાજાશાહી વખતનો અનુભવ કરાવે છે. જેમાં આવનાર વ્યક્તિ પોતે રાજાનો દરબારી હોય તેવો અનુભવ કરે છે. તેનું ભોજન પણ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી ટાઈમ્સ ફૂડ નાઈટ લાઈફ એવોર્ડથી નવાજવામાં આવ્યો જે દિવાન બંગ્લોઝ માટે ગર્વની બાબત છે.
હોટલના માલિક ફરઝાના કાદરી વધુમાં જણાવે છે કે આ હોટલના રૂમના નામો પણ તેમના ફેમિલી મેમ્બરના નામે સિરાજખાના, ઈફતેખારખાના, મુનિરખાના, સલાહુદ્દીનખાના, ઝહીરખાના, તારીકખાના, ઝુબૈદાખાના અને ઝીઆખાના રાખવામાં આવ્યા છે.

Comments
Post a Comment