સતત અવગણનાના પગલે ઈરફાને અન્ય ટીમમાંથી રમવા એનઓસી માંગી

બરોડા ક્રિકેટ એસોસીએશનના પસંદગીકારો દ્વારા પ્રદર્શન છતાં સતત કરવામાં આવી રહેલી અવગણનાના પગલે વડોદરાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઇરફાન પઠાણે બીસીએ છોડી અન્ય ટીમમાંથી રમવા માટે બીસીએને પત્ર લખી એનઓસી માંગી છે. બીસીએના પસંદગીકારો દ્વારા થતી મનમાનીના પગલે ક્રિકેટ રસીકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
વડોદરાના ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમી વડોદરાને વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવનાર વડોદરાના ક્રિકેટર ઇરફાન પઠાણ હાલ બીસીએના રાજકારણનો ભોગ બન્યો છે. રણજી ટ્રોફી પૂર્વે કેપ્ટન બનાવ્યા બાદ પસંદગીકારો દ્વારા બે મેચ બાદ આશ્ચર્યજનક રીતે ઇરફાનને ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટી-૨૦ સીલેકશન મેચોમાં પણ ઇરફાનનો પ્રદર્શન સારો હોવા છતાં તેને સૈયદ મુસ્તાકઅલી ટ્રોફીમાં પસંદગી ન કરાતાં પસંદગીકારો દ્વારા થતી મનમાનીનો ભોગ ઇરફાન પઠાણ બન્યો છે.
ફીટ હોવા છતાં પ્રદર્શન કરવા છતાં ટીમમાં સ્થાન નહીં મળી પસંદગીકારોની મનમાનીથી દુઃખી થયેલા ઇરફાન પઠાણે બીસીએથી છેડો ફાડવાનો નિર્ણય કર્યો છે. ઇરફાને બીસીએના સેક્રેટરીને પત્ર લખી અન્ય ટીમમાંથી રમવા માટે એનઓસી માંગી છે.બીસીએના સેક્રેટરી (ઇન્ચાર્જ) સ્નેહલ પરીખે જણાવ્યું હતું કે, ઇરફાને પત્ર લખી અન્ય ટીમમાંથી રમવા એનઓસીની માંગણી કરી છે. ઇરફાને પત્રમાં જણાવ્યું છે કે, તેને બરોડાની ટીમ તરફથી ક્રિકેટ રમવા યોગ્ય તકો નહીં મળી રહી હોવાથી પોતાને અન્ય ટીમમાં સારી તકો મળી રહેશે તે માટે અન્ય ટીમમાં રમવા ઇરફાન તરફથી પરવાનગી માંગવામાં આવી છે. આ અંગે મળનારી મેનેજીંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે તેમ સ્નેહલ પરીખે જણાવ્યું હતું.
પસંદગીકારો દ્વારા સિનીયર ક્રિકેટર સાથે કરવામાં આવી રહેલા અન્યાયને પગલે શહેરના ક્રિક્રેટરો તથા ઇરફાનના ચાહકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલ બીસીએની મેનેજીંગ કમિટીની બેઠક ચાલી રહી છે. મોડીરાત સુધી ઇરફાનને એનઓસી આપવા અંગે નિર્ણય આપવાની શકયતાઓ છે.
Comments
Post a Comment